Thursday, 1 September 2011

સોનું ગૂંથેલી રોઝવૂડની ફર્શ અને નક્કર સોનાના સોફા

ગદ્દાફીના ઐશ્વર્યથી દુનિયા દંગ ઃ ખજાનો શોધવા વિદ્રોહી દળો વચ્ચે હોડ જામી


લિબીયાના પ્રમુખ મુઅમ્મર ગદ્દાફીનું જીવન કેવું જાહોજલાલીથી ભરેલું હતું તેની ખબર લિબીયામાં બળવાખોરો ગદ્દાફીના ભવ્ય મહેલમાં ઘુસ્યા પછી પડી છે. અત્યંત આધનિક સાધનો, ગુપ્ત રસ્તાઓ અને ભુગર્ભમાં અનેક બંકરો જેવી કટોકટીના સમયે કામ આવે તેવી પ્રણાલી ઉપરાંત ગદ્દાફીના રહેવા માટેના ઓરડાઓ પણ આંખો પહોળી કરી નાખે તેવા આલિશાન હતા. પ્રસ્તુત તસ્વીરમાં (ડાબેથી) ગદ્દાફીનો ભવ્ય સ્વિમિંગ પૂલ, ભવ્ય બેડરૃમ, આધુનિક બાર અને સોનાનો સોફો નજરે પડે છે. જો કે હવે બળવાખોરો આ ૫૦ ઓરડાના 'મહેલ'માં લટાર મારી રહ્યા છે.

બે વર્ષ પહેલાં લિબિયાનું વિદેશી અનામત હુંડિયામણ ૧૬૮ અબજ ડોલર હતું

ગદ્દાફીએ ઉઝબેકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કીમાં ખજાનો છુપાવ્યો હોવાની ધારણા

ટ્રિપોલી, તા. ૩૧
લિબિયાના વિદ્રોહીઓ હવે જેમ જેમ આગેકૂચ કરતાં જાય છે તેમ તેમ કર્નલ મુઅમ્મર ગદ્દાફીનું ૪૨ વર્ષનું સામ્રાજ્ય પૂર્ણતઃ પતનના આરે પહોંચી રહ્યું છે. મંગળવારે ગદ્દાફીના શાનદાર અને અતિ વૈભવશાળી વાયોલેટ પેલેસનો કબજો મેળવીને અંદર પહોંચેલા વિદ્રોહીઓ અહીં ઠેરઠેર પથરાયેલા ઐશ્વર્ય અને એશોઆરામના ખજાનાથી દિગ્મૂઢ થઇ ગયા હતા. સંગેમરમરની ચકચકિત ફર્શ, શુદ્ધ સોનાના રગડાથી રંગેલી દિવાલો, ઈટાલિયન ગ્લાસથી મઢેલા તોતિંગ ઝૂમ્મરો અને દુનિયાભરમાંથી એકઠી કરેલી બેશકિમતી કલાકૃતિઓથી છલકાતું રાચરચીલું. આ તો થઇ ગદ્દાફીના અનેક પૈકીના એક મહેલની ઝલક. વિદ્રોહીઓને કનડતો સવાલ એ છે કે, ગદ્દાફીના એક મહેલમાંથી મળતો આ ખજાનો એક આખા ગામને જિંદગીભરના એશોઆરામ પૂરા પાડી શકે તો ગદ્દાફીની મિલકત અને રોકડ ખજાનાનો કુલ આંકડો કેટલો હશે? એ ખજાનો ક્યાં પગ કરી ગયો હશે?
ગદ્દાફીનું પતન નિશ્ચિત બનતું જાય છે તેમ તેનાં અખૂટ ખજાનાની ભાળ મેળવી તેનાં પર કબજો જમાવાની વિદ્રોહીઓના વિવિધ દળો વચ્ચે હાલ હોડ જામી છે. લિબિયામાં વિદેશી રોકાણો પર નજર રાખતી સંસ્થા ગ્લોબલ વિટનેસના કહેવા પ્રમાણે, લિબિયાના સરકારી રોકાણોની દેખભાળ કરતી ગદ્દાફીની એક કંપની પાસે ૬૪ અબજ ડોલરની સંપત્તિ હતી. જો એક કંપની આટલી સમૃદ્ધ હોય તો સ્વયં ગદ્દાફીનો ખજાનો તો અનેકગણો મોટો હોવાની સંભાવના છે. હાલ વિદેશમાં આશ્રય લઇ રહેલા લિબિયાની સેન્ટ્રલ બેન્કના પૂર્વ ગવર્નરે પણ કબૂલ્યું હતું કે વર્ષ ૨૦૦૯માં લિબિયાના સરકારી ખજાનામાં ૧૬૮ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત હતું. ઘાતકી સરમુખત્યારોનો અંત પણ હંમેશા એવો જ ઘાતકી હોવાનું સુપેરે જાણતા ગદ્દાફી છેલ્લા એક દાયકાથી ઉઝબેકિસ્તાન, સ્વિડન, ઈજિપ્ત અને તુર્કીમાં મોટાપાયે રોકાણો કરી રહ્યા હતા.
હાલમાં આ દેશોમાં બનાવટી નામો હેઠળની ગદ્દાફીની સંપત્તિની તપાસ ચાલી રહી છે. દરમિયાન અત્યારે સમગ્ર લિબિયામાં વાયોલેટ પેલેસના ભવ્યાતિભવ્ય સાજ-શણગારની જ ચર્ચા છે. નક્કર સોનાના કલાત્મક સોફા, રોઝવૂડમાં સોનાના તાર ગૂંથીને મઢેલી ફર્શ અને શૃંગારિક તેમજ કામૂક શિલ્પોથી બનેલા બેડ અત્યારે વિદ્રોહીને વધુ આક્રમકતાથી ગદ્દાફીના શાસનનો સફાયો કરવા માટે એકજૂટ કરી રહ્યા છે. પરંતુ એકવાર ગદ્દાફીનો અંત નિશ્ચિત બનશે એટલે આ અખૂટ ખજાનાની લૂંટફાટનો વરવો દૌર ચાલશે એ પણ એટલું જ નિશ્ચિત છે.



પ્રસ્તુત તસવીરમાં લિબીયાના પ્રમુખ મુઅમ્મર ગદ્દાફીના પરિવારજનો નજરે પડે છે. જેમાં (ડાબેથી) ગદ્દાફીની પત્ની સાફિયા, પુત્રો હન્નિબલ અને મોહમ્મદ તેમજ પુત્રી આઇશાનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિઓએ હાલ અલ્જીરિયામાં શરણ લીધી હોવાનું માનવામાં આવે છે.


લિબીયામાં મુઅમ્મર ગદ્દાફી સામે કસાતો સકંજો
ગદ્દાફીનો ત્રીજો પુત્ર સાદિ આત્મસમર્પણ માટે તૈયાર
(પીટીઆઈ) કેરો, તા. ૩૧
લિબીયાના પ્રમુખ મુઅમીર ગદ્દાફીના ત્રીજો પુત્ર સાદી ગદ્દાફી આત્મસમર્પણ કરવા તૈયાર હોવાનું નેશનલ ટ્રાન્ઝિશન કાઉન્સિલ (એનટીસી)ના અધિકારીઓનું કહેવું છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે પદભ્રષ્ટ સરમુખત્યારની હત્યા કરવાનો તેમને અધિકાર હોવાનું બળવાખોરોનું કહેવું છે.
જોકે સાદી ગદ્દાફી લિબીયા છોડવા માગતો ન હોવાનો એનટીસીનો દાવો, અન્ય અધિકારીઓ પણ શરણે આવવા તૈયાર
ત્રિપોલી ખાતેના એનટીસી સૈન્ય કમાન્ડર અબ્દેલ હકિમ બેલ્હાજે જણાવ્યું હતું કે સાદીએ આત્મસમર્પણ કરવાની તૈયારી દર્શાવી છે. તે લિબીયા છોડવા માગતો નથી અને એનટીસી સાથે આત્મસમર્પણ અંગે વાટાઘાટો કરવા માગે છે.
બેલ્હાજે જણાવ્યું હતું કે, સાદીની સાથે ગદ્દાફી શાસનના ટોચના અધિકારીઓ પણ આત્મસમર્પણ કરવા તૈયાર છે જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. સાદીના ફોન પરથી તે કયાં છે તેની ખબર પડયા હોવાનો દાવો કરતા અબ્દેલહકિમે કહ્યું હતું કે, આત્મસમર્પણ કરવાની ઇચ્છા ધરાવતા તમામ લોકો સાથે એનટીસી ''યોગ્ય વર્તન'' કરશે પણ તેમની સામે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલતે ગદ્દાફી અને તેમના સૌથી મોટા પુત્ર સામે માનવતા વિરોધી અપરાધ આચરવા બદલ ધરપકડ વોરંટને મંજૂરી આપી દીધી છે. બેલ્હાજ ખાતે ટોચના અન્ય બળવાખોર કમાન્ડરોએ પણ જણાવ્યું છે કે ગદ્દાફી હજુ પણ લિબીયામાં જ હોવાની ૮૦ ટકા જેટલી શક્યતા છે અને આ અંગેની કેટલીક માહિતી પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે ગદ્દાફી હવે બળવાખોરોનું મુખ્ય નિશાન છે અને તેમણે ગદ્દાફીના ગામ શિરતેમાં તેના વફાદાર સાથીઓને શનિવાર સુધીમાં શરણે આવવાની ચેતવણી આપી છે.


ગદ્દાફી વિરૃદ્ધઘ સંઘર્ષમાં ૫૦ હજાર લોકોએ જીવ ગુમાવ્યા
ત્રિપોલી,તા. ૩૧
લીબિયાના શાસક કર્નલ ગદ્દાફીની વિરૃદ્ધ છ મહિના સુધી ચાલેલા જનવિદ્રોહમાં ૫૦ હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
લીબિયાના વિદ્રોહીઓનો દાવો ઃ ૨૮ હજાર બંધકોને મુક્ત કરાયા
લીબિયાની વિદ્રોહી પરિષદ સાથે જોડાયેલા કર્નલ હિશામ ભૂગિયારે આવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે મિરીરાતા અને જિલતાનમાં ૧૫ હજારથી લઈને ૧૭ હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પશ્ચિમી પહાડીઓમાં પણ ભારે સંખ્યામાં લોકો સેનાના હુમલાનું નિશાન બન્યા છે.
તેમણે કહ્યું કે અમે એમ માનીએ છીએ કે જેટલા પણ લોકો કર્નલ ગદ્દાફીની વિરૃદ્ધના સંઘર્ષમાં લાપતા છે તે તમામ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે ગદ્દાફી એના દ્વારા કેદ કરવામાં આવેલા ૨૮ હજાર બંધકોને વિદ્રોહીઓએ મુક્ત કર્યા છે.

No comments:

Post a Comment