Thursday, 1 September 2011

મારા પતિના સાચા હત્યારાઓ આજે પણ ખુલ્લા ફરે છેઃજાગૃતિ પંડયા

મારા પતિના સાચા હત્યારાઓ આજે પણ ખુલ્લા ફરે છેઃજાગૃતિ પંડયા
પુનઃતપાસ કરી હરેન પંડયાના સાચા હત્યારાઓને પકડો

અમદાવાદ, બુધવાર
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરેન પંડયાના પત્ની જાગૃતિબહેન પંડયાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હાઇકોર્ટના તાજેતરના ચુકાદા બાદ એ સ્પષ્ટ થાય છે કે સ્વ. હરેનભાઇના સાચા હત્યારાઓ આજે પણ ખુલ્લા ફરે છે.તેમણે કહ્યું કે હવે પોતાની ધીરજનો અંત આવ્યો હોવાનું કહ્યું હતું અને કાયદાકીય રીતે લોકશાહીમાં અંતિમ શ્વાસ સુધી હરેનના સાચા હત્યારાઓ પકડાય ત્યાં સુધી લડત આપવાનું કહ્યું હતું.
હાઇકોર્ટના ચુકાદા બાદ ધીરજનો અંત આવે છેઃ હત્યારાઓને પકડી નરેન્દ્રભાઇ આદર્શ મુખ્યમંત્રી હોવાનું ઉદાહરણ આપે
જાગૃતિબહેને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે બે દિવસ અગાઉના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી એ સ્પષ્ટ બન્યું છે કે સ્વ.હરેનના હત્યારાઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે.આવામાં મુખ્યમંત્રી હરેનના સાચા હત્યારાઓને જેર કરવાની લડત પોતાની લડત તરીકે જાહેર કરે તો ગુજરાતની જનતા માની શકે કે ગુજરાતમાં ન્યાય મળે છે. જાગૃતિબહેને પત્રમાં કહ્યું છે કે તેઓ અને તેમના સંતાનો આ અંગે મુખ્યમંત્રીની જાહેરાતની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે અને સ્વ.હરેનના સાચા હત્યારાઓ પકડાય. હરેનભાઇની હત્યા રાજકીય હતી કે કેમ તે અંગે પૂછાતા જાગૃતિબહેને કહ્યું હતું કે સાચા હત્યારાઓ પકડાય તે પછી માલૂમ પડી શકે. તેમણે સ્પષ્ટ કર્યુ ંહતું કે પોતે હરેનભાઇની હત્યા રાજકીય હત્યા ન હતી એવું કહ્યું નથી.
જાગૃતિબહેને કહ્યું કે ૨૦૦૩માં જ્યારે હરેનભાઇની હત્યાની ઘટના બની ત્યારે તેઓ અને તેમના બાળકો અત્યંત આઘાત જનક સ્થિતિમાં હતા. એક સામાન્ય ગૃહિણી તરીકે તેઓ અને તેમના બાળકો અત્યંત આઘાતજનક સ્થિતિમાંથી પસાર થયા છીએ. તેમના શિરે માતા અને પિતા બંનેની જવાબદારી હતી કારણકે તેમના બંને પુત્રો ખૂબ જ નાના હતા ( ૬ અને ૧૩ વર્ષ). છેલ્લા આઠ વર્ષમાં જાત જાતની શંકા કુશંકાઓ મનમાં હોવા છતા ન્યાયિક પ્રક્રિયામાં તેમણે સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. પરંતુ આ ચુકાદાને જોતા તેમના પતિના સાચા હત્યારાઓ આજે પણ ખુલ્લા ફરે છે. ત્યારે હવે તેમની ધીરજનો અંત આવે છે.
જાગૃતિબહેને વધુમાં કહ્યું કે નરેન્દ્રભાઇને અગાઉ લખેલા એક પત્ર દ્વારા રી-ઇન્વેસ્ટીગેશન માટે સહકાર માંગેલ છે. હવે તેઓ આ લડતને આ ચુકાદા પછી પોતાની લડત જાહેર કરીને હરેનના સાચા હત્યારાઓને સજા અપાવી પોતે એક આદર્શ મુખ્યમંત્રી હોવાનું ઉદાહરણ આપે તો ગુજરાતની પ્રજા પણ માની શકે કે ગુજરાતમાં ન્યાય મળી શકે છે. જાગૃતિબહેને મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે મોદીની અંગેની આ જાહેરાત માટે ગુજરાતની જનતા અને પોતે તથા પોતાના પુત્રો તેમજ ભાજપના કાર્યકરો અને તેમના પરિવાર ઉત્સુકતાથી અને આશાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. પોતે હરેનની હત્યાનું સત્ય બહાર આવે તે ઇચ્છે છે. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રીની હત્યા બાબતે આવી શંકા કુશંકાનું નિરાકરણ મુખ્યમંત્રીના સાથ વગર શક્ય નથી.

No comments:

Post a Comment