લાલબાગચા રાજા માટે ત્રણ ડીસીપી શિફ્ટમાં ફરજ બજાવશે ઃ એક હજાર પોલીસ ખડા પગે રહેશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૩૧
ગુરુવારથી શહેરમાં શરૃ થનારા ગણેશોત્સવમાં કોઇ અંધાધૂંધી ન સર્જાય તે માટે મુંબઇ પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાર દિવસ સુધી તમામ પોલીસની રજાઓ રદ્દ કરી નાખવામાં આવી છે. લાલબાગના રાજા માટે ત્રણ ડીસીપી શિફ્ટમાં ફરજ બજાવશે તથા એક હજાર પોલીસ અહીં તૈનાત રહેશે. ઉપરાંત અહીં પોલીસ કંટ્રોલ રૃમ ઊભો કરવામાં આવ્યો છે.
ગણેશોત્સવની તડામાર તૈયારી વચ્ચે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) રજનીશ શેઠનાં જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન ત્રણ પ્રકારનો બંદોબસ્ત રહેશે. સંપૂર્ણ ગણપતિ બંદોબસ્ત, વિસર્જન બંદોબસ્ત અને લાલબાગનાં રાજાનો બંદોબસ્ત.
બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સ, રાયોટ કંટ્રોલ પોલીસ વગેરેની મદદ લેવામાં આવી છે. દસથી વધુ એસઆરપીએફની કંપની, ૯૦૦ એનએસએસ કેડેટ, ૪૦૦ એનસીસી કેડેટ, ૧૫૦૦ સિવિલ કેડેટ, ૧૫૦ હોમગાર્ડઝની મદદ પણ લેવાશે.
જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) વિવેક ફણસલકરનાં જણાવ્યા મુજબ અલગ અલગ ગણપતિ વિસર્જનો માટે વિસ્તૃત ટ્રાફિક પ્લાન બનાવવામાં આવ્યો છે. સડકો પર સૌથી વધુ ટ્રાફિક અનંત ચતુર્થીને દિવસે રહેશે.
લાલબાગનાં રાજાનાં બંદોબસ્ત માટે એક હજાર પોલીસને ગોઠવવામાં આવ્યા છે. તે સિવાય અહીં ત્રણ ડીસીપી અલગ અલગ શિફ્ટમાં ફરજ બજાવશે.
પોલીસે લોકોને સહકાર્ય કરવા જણાવ્યું છે.
વિસર્જનને દિવસે ૮૦ વિસર્જન સ્થળે બંદોબસ્ત રહેશે. ઉપરાંત જૂહુ, પવઇ, મલાડ, દાદર ચોપાટી અને ગિરગાંવ ચોપાટી પર કંટ્રોલરૃમ ઊભા કરવામાં આવ્યા છે.
વિસર્જનને દિવસે ભક્તોનાં ડૂબી જવાના બનાવોને પગલે વિવિધ ઠેકાણે સુરક્ષા માટે ૪૦૦ લાઇફ ગાર્ડઝ તૈનાત રાખવામાં આવશે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
|
No comments:
Post a Comment