કરોડપતિઓને શરમાવે તેવું કાર્ય કરી વૃધ્ધે મહેકાવી માનવતા
Source: Bhaskar News, Bhuj | Last Updated 1:52 AM [IST](01/09/2011)
દરિયો હોય અને તેમાંથી તમે કોઇને ટીપું દાન કરો તેનું કોઇ મહત્વ નથી, પરંતુ તમારી પાસે માત્ર એક ટીપું હોય તે પણ તમે કોઇને દાનમાં આપી દયો, ત્યારે માનવતા ખરેખર મહેકી ઉઠે છે, પરંતુ આવા લોકો પણ આજના જમાનામાં લાખોમાં માત્ર એક જ જોવા મળતા હોય છે. કરોડપતિ કે લાખોપતિ ખુલ્લેહાથ દાન કરે તે સામાન્ય વાત છે. પરંતુ કોઇ અસામાન્ય સ્થિતિમાં જીવવા છતાં કરોડપતિ કે લાખોપતિના દાનને શરમાવે તેવુ દાન કરે ત્યારે તે ઉદાહરણીય બને છે આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભુજમાં ૩૦ વર્ષથી સ્મશાનમાં મસાણિયાનું કામ કરતી ૮૦ વર્ષની વૃદ્ધ વ્યક્તિએ.
આજે જ્યારે વ્યક્તિ પૈસા પાછળ પાગલ બની જીવનના અંત સુધી માત્ર લાવો લાવો એક જ ઉદેશ સાથે જીવી દુનિયા છોડી જાય છે અને ગાંઠથી એક દમડી પણ છોડવી આજે વ્યક્તિને મોટા આઘાત જેવી લાગે છે ત્યારે ૮૦ વર્ષના દેવશીભાઇ પટેલે મસાણિયાનું કામ કરતાં કરતાં ૩૦ વર્ષથી સ્મશાનમાં આવતા લોકો દ્વારા ભેટરૂપે મળેલા તથા પોતાની બચતના રૂપિયા ભેગા કરી તાજેતરમાં સવા લાખ જેટલી એકત્ર થયેલી રકમ દાનમાં આપી દીધી. ૭૫ હજાર ભુજના એક શિવમંદિરમાં તથા ૫૦ હજાર ભુજ લોહાણા સમાજના સ્મશાનમાં જ, જ્યાં તેઓ ૩૦ વર્ષથી મસાણિયા તરીકેની નોકરી કરે છે ત્યાં સારા કાર્ય હેતુ દાનમાં આપ્યા છે.
૫૦૦થી નોકરીએ લાગ્યા બાદ આજે મોંઘવારીમાં R ૩ હજારનો પગાર મેળવતા દેવશીભાઇ કહે છે કે મારા પાસે હજી મારી જીવનભરની કમાણી રૂપે ૩ લાખની બચત છે, તે પણ હું ટૂંક સમયમાં દાનમાં આપી દઇશ. મારો પરિવાર નથી તો કોના માટે બચાવું ? અને રહી વાત કે હું બીમાર પડુ કે હજી જિંદગીમાં મને જરૂર પડશે તો બચાવી રાખું. તો મારું માનવું છે કે, મારાં મોત બાદ નકામા લોકો પૈસા ખાઇ જાય તેના કરતાં જીવતે જીવ જ હું પોતે યોગ્ય જગ્યાએ તેને પહોંચાડી દેવા માગુ છું. હાલે મને પગાર મળે છે, તેમાંથી હું ગાયના ચારા કે અન્ય જરૂરિયાતમંદોને આપતો રહું છું. પૈસો તો ખપ પૂરતો રાખવો. નહીં તો આજે જેટલો હોય તેટલો ઓછો છે.
મૂળ સતપંથી અને થરાવડા ગામના દેવશીભાઇ કહે છે આજે તો સ્મશાનમાં સંબંધીઓને અંતિમયાત્રા કરવા આવતા લોકો ઘણીવાર મારી મહેનતના પૈસા પણ આપતા નથી. આવી દુનિયામાં મારે આ કામ કર્યાના પૈસા ક્યાં લઇ જવા છે. ઉપર મને લોકો પૈસા આપે તે હું દાનધર્મમાં વાપરી નાખું છું.
તે સમયે હું ૧૯ કલાક કામ કરતોને ‘સવા કોરી’ મળતી
આખું જીવન ખેતીવાડી તથા ત્યાર બાદ અંગ્રેજોનો સમય હતો, ત્યારે ભુજ તાલુકામાં આવ્યો અને માધાપરમાં રહેતો હતો અને ઘાસવાડીઓમાં કામ કરતો હતો ત્યારે સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કામ કર્યા ને તે સમયે આખા દિવસની સવાકોરી મળતી (તે સમયનું નાણું) આજે તે સમયથી સાચવેલી મૂડી હું તમામ દાનમાં આપી દઇશ. મારા માટે મને કંઇજ રાખવું નથી.
No comments:
Post a Comment