કેટલાક જોખમી પરિબળો (Risk Factors) કે અવસ્થાઓ હોય તો હૃદયને લોહી આપતી ધમનીઓમાં ચરબીના થર જામવાની શક્યતા વધારે રહે છે. આ પરિબળો નીચે પ્રમાણે છે.
બદલી શકાય તેવાં પરિબળો
૧. લોહીનું ઊંચું પ્રમાણ (હાઇપરટેન્શન/હાઇ બી.પી.)
૨. મધુપ્રમેહ (ડાયાબીટિસ)
૩. લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ અને સારા કોલેસ્ટેરોલનું ઓછું પ્રમાણ (ડીસલાઇપીડીમીઆ)
૪. ચરબીયુક્ત શરીર, વધારે પડતું વજન (ઓબેસિટી)
૫. બેઠાડું જીવન, કસરતનો અભાવ
૬. તમાકુનું વ્યસન (કોઇપણ સ્વરૂપમાં)
૭. તાણયુક્ત જીવન (સ્ટ્રેસ)
*બદલી ન શકાય તેવાં પરિબળો
૧. આનુવંશિક્તા: હૃદયરોગનું કુટુંબમાં ઊંચું પ્રમાણ (હેરીડિટી)
૨. જાતિ: પુરુષ હોવું (માસિક સ્રાવ બંધ થયા પછી સ્ત્રીઓમાં પણ હૃદયરોગનું પ્રમાણ વધતું જાય છે.)
૩. ઉંમર: જેમ ઉંમર વધતી જાય, તેમ તેમ હૃદયરોગનું જોખમ પણ વધતું જાય છે.
કોઇ વ્યક્તિમાં જેમ જોખમી પરિબળો વધે તેમ તેને હૃદયરોગ થવાની શક્યતા વધે છે. પણ આમાં અકળ કારણોસર કેટલાક અપવાદ પણ જોવા મળે છે. અમુક લોકોમાં ચાર-પાંચ જોખમી પરિબળો હોવા છતાં હૃદયરોગ ન થાય તેવું બને અને ક્યારેક જોખમી પરિબળની સંપૂર્ણ ગેરહાજરી હોવા છતાં કોઇને હૃદયરોગ થયેલો જોવા મળે છે! છેલ્લા દાયકામાં સંશોધનોનાં અંતે અન્ય કેટલાક જોખમી પરિબળો પણ શોધી કાઢવામાં આવ્યાં છે.
*હૃદયરોગનું નિદાન
દર્દીની વાત શાંતિથી સાંભળી, તેનાં લક્ષણો નોંધી, દર્દીનું અવલોકન કરી, તેના હૃદયના ધબકારા, લોહીનું દબાણ તપાસી, અનુભવી તબીબ નિદાનની શક્યતા અંગે નિષ્કર્ષ કાઢે છે.
*હૃદયરોગનાં લક્ષણો
૧. છાતી ભારે થવી, દબાણ થવું, બળતરા થવી.
૨. શ્વાસ ચડવો-શ્રમ કરવાથી અથવા બહુ ખરાબ કિસ્સામાં આરામ દરમિયાન પણ.
૩. ચક્કર આવવા, થોડી ક્ષણો માટે બેભાન થઇ જવું.
૪. છાતીમાં ધબકારાની ગતિ તથા તેની વધઘટ અનુભવવી.
૫. બહુ પરસેવો થાય.
૬. થાકી જવું, અશક્તિ લાગવી.
૭. પેટમાં બળતરા થવી, પીઠ દુ:ખવી (ઓછા કિસ્સામાં).
૮. ક્યારેક કોઇ પણ લક્ષણ ન હોય છતાં હૃદયરોગ થઇ શકે છે.
ઉપરના પૈકી એક અથવા વધારે લક્ષણો દર્દીમાં જોવા મળી શકે છે. ક્યારેક અન્ય કોઇ બીમારીમાં પણ આવા કોઇ લક્ષણ જોવા મળી શકે છે. આથી વ્યક્તિએ માત્ર લક્ષણની હાજરી કે ગેરહાજરીથી હૃદયરોગ વિશે ધારણાઓ કરવી નહીં અને નિષ્ણાત તબીબની મદદ લેવી.
No comments:
Post a Comment