Tuesday, 11 October 2011

મારવી શરત? અહીંનું ચુંબકીય સૌંદર્ય તમને મોહિત કરી દેશે


ડાંગ એટલે કુદરતી સૌંદર્યનો વણખેડાયેલો કિંમતી ખજાનો, ક્રોંકીટ જંગલોના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર શાંતિનો આહલાદક અનુભવ આપતું નૈસર્ગિક સ્થળ, ચારેતરફ લીલીછમ્મ વનરાજી તથા ડુંગરાઓમાંથી પાણીના વહેતા ઝરણાનો સહજ સમન્વય.

હરિયાળીથી ફાટફાટ ડાંગમાં ઘણા એવા જોવાલાયક સ્થળો છે, જેના વિશે ફરવાના શોખીનો ખૂબ ઓછું જાણે છે. અમે અહીં ડાંગ જિલ્લાના આવા સ્થળોની એક પછી એક તસવીરો સાથે માહિતી આપીશું. આ એવા સ્થળો છે કે જેની તમે બાઇક કે કાર દ્વારા ખૂબ ઓછા ખર્ચે ઓછા સમયમાં મજા માણી શકો છો.

પ્રકરણ-1. ગૌમુખ

એક બાજુ મંદિરમાં ધાર્મિક વાતાવરણ ગુંજતું હોય...બીજી તરફ ડુંગર પર લહેરાતી હરિયાણી વચ્ચે પાણીનો સુંદર મજાનો ધોધ પડતો હોય...આવો અદભુત નજારો નિહાળવો જિંદગીનો એક યાદગાર લ્હાવો છે. વાત થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળ ગૌમુખની. જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ એક ધોધ છે.

તાપી જિલ્લાના સોનગઢ નજીક ડુંગરાળ વિસ્તારોમાં આવેલું ગૌમુખ સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓમાં છેલ્લાં કેટલાક સમયથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સોનગઢથી ડાંગના જંગલ તરફ જતા 14 કિલોમિટર દૂર રસ્તામાં આ રમણીય સ્થળ આવે છે. 10 કિલોમિટર સુધી ડામરનો ડબલ પટ્ટી રોડ અને 4 કિલોમિટર સિંગલ પટ્ટી રોડ છે.

ગૌમુખ પ્રવાસન ધામ પહોંચતા, સૌ પહેલા ગુજરાત પર્યટન વિભાનો ગેટ આવે છે. જ્યાંથી થોડુંક અંદર જતાં પહેલા મોટું મેદાન આવે છે. જેની આસપાસ પ્રસાદ અને નાસ્તાની દુકાનો છે. બાળકો માટે રમવાનો નાનો બગીચો પણ છે. ત્યાંથી થોડાક પગથિયા ઉતરતાં પહેલા ગૌમુખ મંદિર આવે છે. મંદિર નીચે ગાયના શીલ્પના મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે. ગૌમુખ ખાતે રત્નના શિવલિંગના દર્શન કરી તથા ગાયના મુખમાંથી વહેતા પાણીથી હાથ મોં ધોઇ શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અહીં શ્રાવણ માસ તેમજ શિવરાત્રિ જેવા પર્વ પર ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે.

મંદિરથી ડાબી બાજુ થોડા વધુ પગથિયા નીચે ઉતરતાં એક સરસ ધોધ પડે છે. જ્યાં યાત્રિકો મન ભરીને ઠંડા પાણીથી ન્હાવાનો લ્હાવો ઉઠાવે છે. હરિયાળા ડુંગર પરથી મોતીના દાણા જેવું નીચે પડતું પાણી આદલાદક અનુભવ કરાવે છે. 25થી 30 ફૂટ જેટલી ઉંચાઇના આ ધોધની બાજુમાં એક ચેક ડેમ પણ છે, જ્યાં પણ પ્રવાસીઓ પાણીમાં મનભરીને મોજ લૂંટે છે.

કેવી રીતે પહોંચશો ?

સુ૨ત-બારડોલી-વ્યારા થઈને સોનગઢ પહોંચી શકાય છે. નેશનલ હાઇવે-7 પરના આ રૂટનો રસ્તો પ્રમાણમાં સારો છે. સોનગઢથી ગૌમુખ 15 કિલોમિટરના અંતરે છે. બાઇક કે કાર દ્વારા ગૌમુખનો પ્રવાસ ખૂબ જ આનંદદાયક બની શકે છે. આ ઉપરાંત સુરતથી સોનગઢ સુધી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પણ ગૌમુખ પહોંચી શકાય છે.





Next Story
આ તસવીરો જોઇને તમને પણ થશે અહીં ફરવા જવાનું મન

No comments:

Post a Comment