Monday, 7 May 2012

ગુજરાતના આ ગામમાં યુવાનોને લગ્ન માટે છોકરી આપવા નથી કોઈ રાજી

પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમતા દેવલિયા અને જેતપુર ગામના લોકો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમથી નજીવા અંતરે આવેલાં હોવા છતાં તિલકવાડાના દેવલિયા અને જેતપુર ગામમાં આઝાદીના ૬૩ વર્ષ બાદ પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નહિ હોવાથી લોકોના હાલ બેહાલ થઇ ગયાં છે. વર્ષોથી રજૂઆત કરવા છતાં સમસ્યાના હલ માટે અધિકારીઓ કે પદાધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરતાં નથી. આજ સમસ્યાને કારણે આ ગામના યુવકોને કોઈ છોકરી આપવા માટે પણ તૈયાર થતું નથી.

ગુજરાત રાજ્ય ભલે વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું હોય પરંતુ હજી કેટલાંય ગામડાંઓ રસ્તા, પાણી તથા વીજળી જેવી માળખાકીય સુવિધાઓથી વંચિત રહી ગયાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા રાજસ્થાન એમ ત્રણ રાજ્યોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરતાં નર્મદા ડેમથી નજીવા અંતરે આવેલાં હોવા છતાં તિલકવાડાના દેવલિયા અને જેતપુર ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.

લોકોએ જણાવ્યું હતું કે, આઝાદીના ૬૩ વર્ષ બાદ પણ ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું જ નથી. અધિકારીઓ તથા પદાધિકારીઓને રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા પગલાં ભરવામાં રસ દાખવાતો નથી.

યુવાનોને લગ્ન માટે છોકરી આપવા કોઈ રાજી નથી

દેવલિયા ગામના સાહેદાબાનુએ જણાવ્યું હતું કે, ઘરે મહેમાન આવે ત્યારે અમે પાણીનો ભાવ પૂછતાં ખચકાઇએ છીએ કારણ કે ગામમાં પાણી મળતું નથી. પાણીના બદલે મહેમાનોને ચા કે ઠંડા પીણા પીવડાવવાનું વધુ પસંદ કરીએ છીએ. પાણીની સમસ્યાના કારણે ગામની યુવકોના લગ્ન પણ ઝડપથી થતાં નથી કારણ કે કોઇ છોકરી આપવા તૈયાર થતું નથી.

ઘી અને દૂધ કરતાં પણ પાણી અમારા માટે કિંમતી

દેવલિયાના નફીસાબાનુએ જણાવ્યું હતું કે, આખા દિવસમાં બેથી ત્રણ બેડાં પાણી મળે છે તેથી અમે દૂધ, ઘી કરતાં પણ પાણીને વધારે સાચવીએ છીએ. પાણીનું એક પણ ટીપુ વ્યર્થ જવા દેતાં નથી.

રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા

જિ.પં.સભ્ય અને યુવક કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગામડામાં પાણી પુરૂ પાડવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયાં છે. સમસ્યા માટે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરાતી નથી.

હેન્ડપંપ અને બોર નકામા સાબિત થયા

દેવલિયા અને જેતપુરમાં રહેતાં ૩ હજારથી વધુ લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે તંત્રએ હેન્ડપંપ મુકાવ્યો હતો પરંતુ તેમાંથી ફલોરાઇડયુકત પાણી આવતું હોવાથી ગામલોકો આ પાણીનો ઉપયોગ કરી શકતાં નથી. કેટલાંક ગામલોકોએ બોર બનાવ્યાં છે પરંતુ તે પણ નકામા સાબિત થયાં છે.

ગામલોકો પાણી ક્યાંથી મેળવે છે ?

દેવલિયા અને જેતપુર ગામ નજીકથી સુખી ખાડી પસાર થાય છે. ગામની મહિલાઓ અને યુવતીઓ સુખી ખાડીના પટમાં જઇ ત્યાં ખાડો ખોદી તેમાંથી નીકળતું પાણી ટીપે ટીપે વાસણમાં એકત્ર કરે છે. આમ મહિલાઓનો આખો દિવસ પાણી એકત્ર કરવામાં પસાર થઇ જાય છે.આખો દિવસની મહેનતના અંતે ગૃહિણીઓને માત્ર બે થી ત્રણ બેડલા ભરાય તેટલું જ પાણી નસીબ થાય છે.






 

 

 

No comments:

Post a Comment